નવી દિલ્હીઃ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સન્માનમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંગે મંગળવારે ડિનરનું આયોજન કર્યું છે. આ ભોજન સમારોહમાં પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહ પણ સામેલ થશે. પરંતુ લોકસભામાં કોંગ્રેસ સંસદીય દળના નેતા અધીર રંજન ચૌધરીએ આ ડિનર કાર્યક્રમમાં સામેલ થવાની ના પાડી દીધી છે. તેઓ યૂપીએ ચેરપર્સન અને કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધીને આમંત્રણ ન અપાતા નારાજ છે.
અધીર રંજનનું માનવું છે કે સૌથી મોટી વિપક્ષી પાર્ટીના નેતા સોનિયા ગાંધીને રાત્રિભોજમાં આમંત્રણ આપવાની જરૂર હતી. તેમણે કહ્યું કે, આ જૂની પરંપરાથી હટવાનું છે જેમાં વિપક્ષી દળોના વરિષ્ઠ નેતાઓને આમંત્રિત કરવામાં આવતા હતા.
રાષ્ટ્રપતિ તરફથી અપાનારા આ સત્તાવાર ભોજન સમારોહમાં કેટલાક ગણમાન્ય લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે, જેમાં ડો મનમોહન સિંહ પણ સામેલ છે. કોંગ્રેસ સૂત્રો પ્રમાણે રાજ્યસભામાં વિપક્ષ નેતા ગુલામ નબી આઝાદ પણ હાજરી આપી શકે છે.
રાજ્યસભામાં વિપક્ષના ઉપનેતા આનંદ શર્માએ અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં આયોજીત કાર્યક્રમમાં વિપક્ષી નેતાઓને નજરઅંદાજ કરવાની નિંદા કરી છે. અમેરિકી રાષ્ટ્રપતિ બે દિવસના ભારતના પ્રવાસ પર છે.
મહત્વનું છે કે આ ભોજન સમારોહમાં ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા અને કેન્દ્રીય મંત્રીમંડળના સભ્યોને આમંત્રણ આપવામાં આવ્યું છે. ભોજન સમારોહમાં રાજ્યસભા અને લોકસભામાં વિપક્ષના નેતાઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે