Gujarat Rains: સમગ્ર રાજ્યમાં ભરઉનાળે વરસાદી માહોલથી નવતપા અંગે ખેડૂતોમાં ભારે ચિંતા પ્રવર્તી રહી છે. નવતપામાં સૂર્ય તપશે નહીં તો અનેક પ્રકારની તકલીફો આવશે. જી હા...25મીએ સૂર્યનો રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કરશે, ત્યારે નવતપાને લઈ ખેડૂતો ચિંતિત બન્યા છે. ભરઉનાળે વરસાદી માહોલથી પાક નાશ પામે છે. ચોમાસા અંગે પણ ચિંતા સતાવે છે.
સૂર્ય ૨૫મી મેએ મળસ્કે 3 વાગ્યેને 27મી મિનિટે રોહિણીમાં પ્રવેશ કરશે. આ દિવસોમાં સૂર્ય પૃથ્વીની સૌથી નજીક હોય છે. આ તાપ વધારે એટલી વધારે સારા વરસાદની માન્યતા આદિકાળથી પ્રવર્તી રહી છે. જ્યોતિષની દ્રષ્ટિએ સૂર્ય રોહિણી નક્ષત્રમાં આમ તો ૧૫ દિવસ રહે છે, પરંતુ શરૂઆતના નવ દિવસ સૌથી વધુ તાપ રહેતો હોવાથી તેને નવતપા તરીકે ઓળખાય છે.
કેરી સહિતના સિઝનલ પાકોમાં નુકસાન વચ્ચે નવતપાની શરૂઆત 25 મેથી થશે. ખેડૂતો માટે આ સમયગાળો ખૂબ મહત્ત્વનો માનવામાં આવે છે. આ દિવસો કેવા જશે તેની ગણતરી પર આગામી સિઝન અને કમાણી પર મીટ મંડરાયેલી હોય છે. હકીકતમાં સૂર્ય જ્યારે રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કરે છે ત્યારે નવતપાનો પ્રારંભ થાય છે.
નવતપામાં તાપ ન પડે તો શું?
જાણકારોનું કહેવું છે કે, નવતપાના પ્રથમ બે દિવસે જ જો લૂ ઝરતો તાપ ન પડે તો, ઉંદરો બહુ થઈ જાય. પછીના બે દિવસ પણ જો તાપ ન થાય તો પાકને નુકસાન પહોંચાડતા જીવાણુનું પ્રમાણ ખૂબ જ વધી જાય છે. ત્રીજા દિવસથી પણ જો બે દિવસ લૂ ન પડે તો, પાકને નુકસાન પહોંચાડતા તીડના ઇંડાઓનો નાશ નથી થતો. એવી જ રીતે જો ચોથા દિવસથી બે દિવસ તાપ ન વર્તાય તો તાવ લાવતા જીવાણુઓ મરતા નથી અને માનવજાત પર રોગચાળાના જોખમની શક્યતા વધી જાય છે.
હવામાન વિભાગની આગાહી
આગામી સાત દિવસ સુધી રાજ્યમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. અરબી સમદ્રમાં વાવાઝોડું ઉદ્દભવી રહ્યું છે. જેના કારણે માછીમારોને કાલ સાંજ સુધીમાં પાછા ફરવાની સૂચના આપવામાં આવી છે. સાઉથ કોંકણ પૂર્વ મધ્ય અરબસાગર નજીક લૉ પ્રેસર બન્યું છે, જે આવતી કાલ સાંજ સુધી ડિપ્રેશન બની શકે. દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની આગાહી કરાઈ છે. અમદાવાદ અને ગાંધીનગરમાં વીજળીના કડાકા ભડાકા થઈ શકે છે. અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે રાજ્યના તટવર્તી વિસ્તારોમાં મોસમ ખોરવાઈ શકે છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે સુરત, તાપી, વલસાડ, ડાંગ, નવસારી, અમરેલી અને ભાવનગર જિલ્લામાં પવન સાથે વરસાદ પડશે. આ કારણે હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ આગાહીને ગંભીરતાથી ધ્યાનમાં લઈને સંબંધિત જિલ્લાઓના વહીવટી તંત્રોને ચેતવણી આપી છે. તેમણે 24x7 કંટ્રોલ રૂમ કાર્યરત રાખવાની તથા તંત્ર સજાગ અને તૈયાર રહે તેવી સ્પષ્ટ સૂચનાઓ આપી છે. મુખ્યમંત્રીએ ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) માટે પણ આ સમયમાં સતત સક્રિય રહેવાની સૂચના આપી છે. તેમણે તમામ સંબંધિત જિલ્લાઓ સાથે સતત સંપર્કમાં રહેવા અને કોઇ પણ સ્થિતિમાં ઝડપી પ્રતિસાદ આપવાની વ્યવસ્થા રાખવા આદેશ આપ્યો છે. તાકીદની સ્થિતિ સામે સલામતીના તમામ પગલાં સમયસર લેવાં મુખ્યમંત્રીએ દિશાનિર્દેશ આપ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે