Unlucky Cricketer in IPL History : IPL 2025ની ફાઇનલ મેચમાં પંજાબ કિંગ્સને હરાવીને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પહેલી વાર ટાઇટલ જીત્યું. પંજાબની ટીમને ફરી એકવાર નિરાશા મળી છે. 2014 પછી ટાઇટલ મેચમાં પહોંચેલી આ ટીમને ખાલી હાથે પરત ફરવું પડ્યું છે. 11 વર્ષ પહેલા પણ તે ફાઇનલમાં હારી ગઈ હતી. ત્યારે જ્યોર્જ બેઇલીની આગેવાની હેઠળની પંજાબ ટીમ કોલકાતા નાઈટ રાઇડર્સ સામે હારી હતી.
ચહલનું ફરી તૂટ્યું દિલ
પંજાબની આ હારમાં સૌથી વધુ દુઃખી તેનો દિગ્ગજ લેગ-સ્પિનર યુઝવેન્દ્ર ચહલ છે. IPL ઇતિહાસમાં સૌથી વધુ વિકેટ લેનાર આ બોલર ત્રીજી વખત ફાઇનલમાં પહોંચ્યા પછી ટ્રોફી ઉપાડી શક્યો નહીં. તેણે ફાઇનલમાં 4 ઓવર બોલિંગ કરી અને 37 રન આપીને એક વિકેટ લીધી. તેની ટીમે RCBને 20 ઓવરમાં 190/ના સ્કોર સુધી મર્યાદિત રાખી. જવાબમાં પંજાબની ટીમ 20 ઓવરમાં 7 વિકેટે ફક્ત 184 રન જ બનાવી શકી.
રિપ્લેસમેન્ટ ખેલાડી, RCB માટે મેરેજ અટકાવ્યા...હવે કોહલીને અપાવી પહેલી IPL ટ્રોફી
ચહલ ક્યારે ક્યારે ફાઇનલ હાર્યો ?
ચહલ પહેલા બે વાર ફાઇનલમાં પહોંચ્યો હતો. તેને બંને વાર હારનો સામનો કરવો પડ્યો હતો. 2016માં તે RCB ટીમમાં હતો. ત્યારે સનરાઇઝર્સ હૈદરાબાદ તેને ફાઇનલમાં હરાવ્યું. ત્યારબાદ તે રાજસ્થાન રોયલ્સ ટીમમાં ગયો અને 2022માં તેને ફાઇનલમાં લઈ જવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. કમનસીબે, ચહલ બીજી વખત ટાઇટલ મેચ હારી ગયો. આ વખતે IPLમાં ડેબ્યૂ કરનાર ગુજરાત ટાઇટન્સ ટીમે તેમને હરાવ્યા. હવે જ્યારે ચહલ ત્રીજી વખત ફાઇનલમાં પ્રવેશ્યો, ત્યારે તેની જૂની ટીમ RCB તેની સામે હતી. ફરી એકવાર પરિણામ આ લેગ સ્પિનરની ટીમના પક્ષમાં ન આવ્યું.
ચહલે 16 વિકેટ લીધી
ચહલે IPL 2025માં 14 મેચ રમી. આ દરમિયાન, તેણે 16 વિકેટ પોતાના નામે કરી. ચહલે બે વાર મેચમાં 4 વિકેટ લીધી. તેણે અત્યાર સુધી IPLમાં 174 મેચ રમી છે અને આ દરમિયાન 221 વિકેટ લીધી છે. ચહલને આ વખતે પંજાબે 18 કરોડ રૂપિયામાં ખરીદ્યો. ફ્રેન્ચાઇઝીનો આ નિર્ણય સાચો સાબિત થયો અને તે ટીમનો મહત્વપૂર્ણ ખેલાડી સાબિત થયો. હવે ચહલે ફરીથી ટાઇટલ જીતવાનો પ્રયાસ કરવો પડશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે