MS Dhoni CSK Captain : ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સામેની મેચ પહેલા મોટો ઝટકો લાગ્યો છે. કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ ઈજાના કારણે IPLની 18મી સિઝનમાંથી બહાર થયો છે. તેના સ્થાને મહેન્દ્ર સિંહ ધોનીને ટીમની કપ્તાની સોંપવામાં આવી છે. હવે તે ગાયકવાડની જગ્યાએ આગામી મેચોમાં ટીમનું નેતૃત્વ કરતો જોવા મળશે.
આ માહિતી ટીમના કોચ સ્ટીફન ફ્લેમિંગે આપી હતી. સીએસકેએ તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર ગાયકવાડની ઈજા વિશે માહિતી આપી હતી.
Due to injury, Ruturaj Gaikwad is out of the entire IPL tournament and MS Dhoni will take over as captain for the rest of the game: CSK Coach Stephen Fleming
(File photos - IPL) pic.twitter.com/0XnWRecHoF
— ANI (@ANI) April 10, 2025
ગાયકવાડ ટૂર્નામેન્ટમાંથી બહાર
IPL 2025માં ખરાબ શરૂઆતથી ઝઝૂમી રહેલી ચેન્નાઈ સુપર કિંગ્સ માટે મહત્વની મેચ પહેલા આ સમાચાર આવ્યા છે. ચેન્નાઈની છઠ્ઠી મેચ શુક્રવારે 11 એપ્રિલે રમાવાની છે અને તેના એક દિવસ પહેલા ટીમમાં આ મોટો ફેરફાર થયો છે. મળતી માહિતી મુજબ, કેપ્ટનશિપમાં આ ફેરફાર ઋતુરાજ ગાયકવાડની કોણીની ઈજાના કારણે થયો છે. રાજસ્થાન રોયલ્સ સામેની ટીમની ત્રીજી મેચમાં કેપ્ટન અને સ્ટાર બેટ્સમેન ગાયકવાડને કોણીમાં ઈજા થઈ હતી. જો કે, આ પછી તેણે આગામી 2 મેચ રમી પરંતુ હવે તેની કોણીમાં ફ્રેક્ચર જોવા મળ્યું છે, જેના કારણે તે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે.
આ પહેલા પણ ધોનીના કેપ્ટન બનવાની અટકળો ચાલી રહી હતી. 5 એપ્રિલે ચેન્નાઈમાં દિલ્હી કેપિટલ્સ સામેની મેચ પહેલા પણ ગાયકવાડની ફિટનેસ પર સવાલો ઉઠ્યા હતા અને એવું માનવામાં આવતું હતું કે તે તે મેચમાંથી બહાર થઈ જશે. આવી સ્થિતિમાં કેપ્ટન તરીકે ધોનીની વાપસી નિશ્ચિત માનવામાં આવી રહી હતી. પરંતુ ગાયકવાડે તે મેચ રમી અને ત્યારબાદ તેણે પંજાબ કિંગ્સ સામે પણ મેદાનમાં ઉતર્યો હતો. પરંતુ આ બંને મેચમાં તે માત્ર 6 રન જ બનાવી શક્યો હતો જે સ્પષ્ટપણે દર્શાવે છે કે તે કદાચ સંપૂર્ણ રીતે ફિટ નહોતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે