Indian Cricket Team : ભારતીય ટીમ હાલ ઈંગ્લેન્ડના પ્રવાસે છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સીરિઝ રમાઈ રહી છે. આ દરમિયાન એક મોટા સમાચાર સામે આવ્યા છે. ભારતીય ક્રિકેટ ટીમના T20 કેપ્ટન સૂર્યકુમાર યાદવે હોસ્પિટલમાંથી પોતાનો એક ફોટો શેર કર્યો છે. જેમાં જણાવ્યું છે કે તાજેતરમાં જ જર્મનીમાં તેની સર્જરી થઈ છે. તેની સ્પોર્ટ્સ હર્નિયા સર્જરી સફળ રહી છે. 34 વર્ષીય ક્રિકેટરે પોતે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને પોતાના ચાહકોને આ અંગે માહિતી આપી હતી.
સૂર્યકુમાર યાદવની ક્યારે થશે વાપસી ?
ટીમ ઈન્ડિયા હાલમાં ઈંગ્લેન્ડ સામે પાંચ મેચની ટેસ્ટ શ્રેણી રમી રહી છે. પહેલી ટેસ્ટમાં ભારતને હારનો સામનો કરવો પડ્યો છે, બંને ટીમો વધુ ચાર ટેસ્ટ મેચમાં ટકરાશે. ઈંગ્લેન્ડ શ્રેણી પછી ભારત 17 ઓગસ્ટથી બાંગ્લાદેશ સામે ત્રણ મેચની ODI શ્રેણી અને ત્રણ મેચની T20 શ્રેણી રમશે. સૂર્યકુમારે ખુલાસો કર્યો છે કે તે સ્વસ્થ થઈ રહ્યો છે. જો કે તે ભારતીય ટીમમાં ક્યારે વાપસી કરશે તેની કોઈ તારીખ નક્કી નથી.
સૂર્યાએ આપી હેલ્થ અપડેટ
ચાહકો માટે સારા સમાચાર છે કે સૂર્યાની સર્જરી સફળ રહી છે અને તેણે પોતાની રિકવરી પ્રક્રિયા શરૂ કરી દીધી છે. આ સ્ટાર બેટ્સમેને ઇન્સ્ટાગ્રામ પર પોતાની પોસ્ટમાં લખ્યું છે, "લાઈફ અપડેટ: પેટની જમણી બાજુ નીચેના ભાગમાં સ્પોર્ટ્સ હર્નિયા માટે સર્જરી કરાવી છે. મને જણાવતા આનંદ થાય છે કે એક સરળ સર્જરી પછી હું જ સ્વસ્થ થવાની રાહ પર છું અને વાપસી કરવા માટે આતુર છું."
સૂર્યકુમાર યાદવની કારકિર્દી
સૂર્યકુમાર T20માં ભારતીય ટીમનો કેપ્ટન છે. સૂર્યા આવતા વર્ષે યોજાનાર T20 વર્લ્ડ કપ 2026માં ભારતનું નેતૃત્વ કરે તેવી અપેક્ષા છે. તેણે ભારત માટે તમામ ફોર્મેટમાં 121 મેચ રમી છે. આ દરમિયાન તેણે 3,379 રન બનાવ્યા છે. રમતના સૌથી ટૂંકા ફોર્મેટમાં ટીમ માટે મહત્વપૂર્ણ ખેલાડી હોવાને કારણે 34 વર્ષીય ખેલાડી T20 વર્લ્ડ કપ 2026માં ભારતના અભિયાન પહેલા બધાની નજરમાં રહેશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે