જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતની જવાબી કાર્યવાહીની દહેશતથી પાકિસ્તાન ભારે ચિંતાતૂર છે અને દરેકને ઘૂંટણિયે પડી રહ્યું છે કે તેમને ભારતના કહેરથી બચાવે. એટલે સુધી કે તે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં પણ પહોંચી ગયું. પાકિસ્તાનની અપીલના આધારે સોમવારે મોડી રાતે બંધ બારણે UNSC ની એક બેઠક યોજાઈ ગઈ જેમાં ભારત પાકિસ્તાન તણાવ પર વાતચીત થઈ. બીજી બાજુ યુએન મહાસચિવે પહેલગામ હુમલાને લઈને પાકિસ્તાનને પરોક્ષ રીતે ભારે ફટકાર લગાવી.
યુએન મહાસચિવનું નિવેદન
બેઠક પહેલા યુએન મહાસચિવ ગુટેરેસે પહેલગામ આતંકી હુમલાની ખુબ ટીકા કરતા કહ્યું કે તેના ગુનેહગારોને સજા મળવી જ જોઈએ. જો કે તેમણે દેશોને સંયમ વર્તવાની સલાહ આપતા કહ્યું કે સૈન્ય કાર્યવાહી કોઈ ઉકેલ નથી. ગુટેરેસે કહ્યું કે આવા ભયાનક આતંકી હુમલાને લઈને લાગણીઓને તેઓ સારી રીતે સમજે છે. પીડિત પરિવાર સાથે સંવેદનાઓ છે. પરંતુ સૈન્ય સંઘર્ષથી બચવાની જરૂર છે. કારણ કે તેનાથી ગમે ત્યારે હાલાત બેકાબૂ થઈ શકે છે.
પાકિસ્તાને કાશ્મીરને ગણાવ્યો મુખ્ય મુદ્દો
એવું કહેવાય છે કે આ બેઠક યુએનએસસીની સામાન્ય ચેમ્બરની જગ્યાએ બંધ બારણે થઈ. ચેમ્બરમાં સામાન્ય પરિચર્ચાઓ અને અધિવેશન થાય છે. બેઠક એવા સમયે થઈ કે જ્યારે સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે બે પરમાણુ શક્તિ દેશો વચ્ચે ચરમ પર પહોંચેલા તણાવ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. વાત જાણે એમ છે કે પાકિસ્તાન હાલ સુરક્ષા પરિષદના 10 અસ્થાયી દેશોમાંથી એક છે અને તેણે તાજા સ્થિતિ પર ચર્ચા માટે આવી બેઠક બોલાવવાની ભલામણ કરી હતી. સુરક્ષા પરિષદના અધ્યક્ષ યુનાને આ બેઠક બોલાવી હતી. યુએનમાં પાકિસ્તાનના સ્થાયી પ્રતિનિધિ આસિમ ઈફ્તિખારે આરોપ લગાવ્યો કે ભારત તરફથી એકતરફ કાર્યવાહીથી ક્ષેત્રમાં સ્થિરતાને જોખમ પેદા થઈ ગયું છે. ઈફ્તિખારે કહ્યું કે કાશ્મીર બંને દેશો વચ્ચે મુખ્ય મુદ્દો છે. જે 70 વર્ષથી ઉકેલાયો નથી.
શું આવ્યું પરિણામ
બંધ બારણે સોમવારે બપોરે યોજાયેલી આ બેઠક દોઢ કલાક ચાલી જેમાં પાકિસ્તાનનું જાણે કચુંબર નીકળી ગયું. બેઠક બાદ કોઈ પણ પ્રકારનું અધિકૃત નિવેદન બહાર પાડવામાં આવ્યું નહીં કે કોઈ રિઝોલ્યુશન પણ પાસ કરવામાં ન આવ્યો. મીટિંગ બાદ અસીમ ઈફ્તિખારે કહ્યું કે બેઠકથી જે મેળવવાનો હેતુ હતો તે પૂરો થયો છે. તેમણે જણાવ્યું કે બેઠકમાં પાકિસ્તાને આ મુદ્દાને ઉકેલવા ઉપર પણ ચર્ચા કરી.
બીજી બાજુ ભારતના પૂર્વ સ્થાયી પ્રતિનિધિ સૈયદ અકબરુદ્દીને કહ્યું કે ભારત પાકિસ્તાનની કોઈ પણ નાપાક ચાલને યુએનમાં સફળ નહીં થવા દે.
કશું પરિણામ ન આવ્યું છતાં પાકિસ્તાનના અસીમ ઈફ્તિખાર દાવો કરી રહ્યા છે કે તેમની માંગણી પર આ બેઠકનું આયોજન એ જ તેમની કૂટનીતિક જીત છે. અત્રે જણાવવાનું કે પાકિસ્તાન સંયુક્ત રાષ્ટ્રનું બિનસ્થાયી સ્થય છે અને તેણે હાલની સ્થિતિને પગલે યુએનએસસીને આ મામલે ચર્ચાનો આગ્રહ કર્યો હતો. 15 સદસ્યવાળા યુએનએસસીનો મે મહિનાનો અધ્યક્ષ ગ્રીસ છે. જેણે પાંચ મેના રોજ યોજાયેલી આ બેઠકની અધ્યક્ષતા કરી હતી.
સુરક્ષા પરિષદમાં કોણ કોણ
સુરક્ષા પરિષદમાં અમેરિકા, ચીન, રશિયા, બ્રિટન અને ફ્રાન્સ સ્થાયી સભ્યો તરીકે છે. સુરક્ષા પરિષદમાં હાલ અલ્જીરિયા, ગ્રીસ, ડેનમાર્ક, ગુયાના, પનામા, પાકિસ્તાન, દક્ષિણ કોરિયા, સિયરા લિયોન, સ્લોવેનિયા, અને સોમાલિયા અસ્થાયી સભ્ય દેશ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે