Pahalgam Attack Update: જમ્મુ-કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકી હુમલા બાદ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મોટો નિર્ણય લીધો છે. ગૃહ મંત્રાલયે પાકિસ્તાનને લગતા તમામ વિઝા રદ કરવાના નિર્દેશ આપ્યા છે. આ સંદર્ભમાં ગૃહમંત્રી અમિત શાહે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાત કરી છે. અમિત શાહે મુખ્યમંત્રીઓને કહ્યું છે કે તેઓ શક્ય તેટલી વહેલી તકે પાકિસ્તાનના લોકોને પોતપોતાના રાજ્યોમાંથી હટાવે. ગૃહમંત્રીએ અધિકારીઓ સાથેની બેઠક બાદ આ નિર્ણય લીધો છે.
ગાંધીનગર જિલ્લામાં 29 જેટલા પાકિસ્તાનીઓ હોવાનો રિપોર્ટ
ગુજરાતની વાત કરીએ તો ગુજરાત સરકારને ગાંધીનગર જિલ્લામાં 29 જેટલા પાકિસ્તાનીઓ હોવાનો રિપોર્ટ મળ્યો છે. જી હા...ગાંધીનગર જિલ્લાના ગાંધીનગર શહેર, કલોલ, માણસા અને દહેગામ અલગ અલગ વિઝા પર આવ્યા હોવાની વિગતો સામે આવી છે. ગૃહ મંત્રાલયના આદેશ બાદ ભૂપેન્દ્ર પટેલ સરકાર એક્શનમાં આવી જઈને ATS અને SOG સહિતની ટીમોને તાત્કાલિક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે. ગુજરાતમાંથી આ તમામ પાકિસ્તાનીઓને નિયત સમયમાં રવાના કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. તમને જણાવી દઈએ કે ગૃહ વિભાગ દ્વારા તમામને ભારત છોડીને ચાલ્યા જવાના આદેશ આપી દેવામાં આવ્યા છે.
ભરૂચની એક મહિલા પાકિસ્તાન મોકલાઈ
ભરૂચની એક મહિલાને પાકિસ્તાન મોકલી દેવાઈ છે. ભરૂચથી 71વર્ષીય મહિલાને રવાના કરી દેવામાં આવ્યા છે. શોર્ટ ટર્મ વિઝા પર રહેલ શાહિદા બીબી પાકિસ્તાન મોકલી દેવામાં આવ્યા છે. અટારી બોર્ડરથી પાકિસ્તાન મોકલી દેવામાં આવી છે.
પાકિસ્તાની નાગરિકોને લઈને સૌથી મોટા સમાચાર
ગુજરાતમાં રહેલા પાકિસ્તાની નાગરિકોને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતમાં લોન્ગ ટર્મ વિઝા પર 438 પાકિસ્તાની નાગરિકો હોવાનો ખુલાસો થયો છે. અમદાવાદમાં વધુ 77 પાકિસ્તાની નાગરિકો, સુરતમા 44 અને કચ્છમાં 50 પાકિસ્તાની નાગરિકો, ગુજરાતમાં શોર્ટટર્મ વિઝા પર રહેલા 7 નાગરિકો હોવાનો ખુલાસો થયો છે. આ સિવાય શોર્ટ ટર્મ વિઝા પર સૌથી વધુ 5 પાકિસ્તાની નાગરિકો અમદાવાદમાં હોવાનું સામે આવ્યું છે. જ્યારે 1 ભરૂચ અને 1 વડોદરામાં પાકિસ્તાની નાગરિકો હોવાનો ખુલાસો થયો છે. ગુજરાતમાં રહેલા પાકિસ્તાની નાગરિકોને હાંકી કાઢવા માટે કવાયત તેજ ધરાઈ છે. ગૃહ વિભાગ દ્વારા પાકિસ્તાની નાગરિકોની યાદી તૈયાર કરાઈ છે.
સિંધુ જળ સંધિને સ્થગિત કરવાની જાણકારી આપી હતી
તમને જણાવી દઈએ કે પહેલગામ આતંકી હુમલા બાદ ભારત સરકાર સતત એક્શન મોડમાં છે. આ હુમલા બાદ ભારત સરકારે સૌથી પહેલા ભારત અને પાકિસ્તાન વચ્ચેની સિંધુ જળ સંધિને મુલતવી રાખી હતી. ભારતે પાકિસ્તાનને ઔપચારિક પત્ર લખીને સિંધુ જળ સંધિને સ્થગિત કરવાની જાણકારી આપી હતી.
સિંધુ અને તેની 4 ઉપનદીઓ પર નિર્ભર છે પાકિસ્તાન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બુધવારે મળેલી સુરક્ષા અંગેની કેબિનેટ સમિતિની બેઠકમાં કડક નિર્ણયો લેવામાં આવ્યા હતા, જેમાં સિંધુ જળ સંધિને મુલતવી રાખવાનો નિર્ણય પણ સામેલ હતો. સિંધુ જળ સંધિ ભારત અને પાકિસ્તાન વચ્ચે 1960 થી અમલમાં છે. સિંધુ નદીને પાકિસ્તાનની જીવનરેખા માનવામાં આવે છે. 21 કરોડથી વધુની વસ્તી તેમની પાણીની જરૂરિયાતો પૂરી કરવા માટે સિંધુ અને તેની ચાર ઉપનદીઓ પર નિર્ભર છે.
હુમલામાં 26 પ્રવાસીઓ માર્યા ગયા હતા જ્યારે 17 લોકો ઘાયલ
આ ઉપરાંત અટારી બોર્ડરને પણ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ભારત આવેલા પાકિસ્તાની નાગરિકોને આ માર્ગે પરત ફરવા માટે 1 મે સુધીનો સમય આપવામાં આવ્યો છે. ભારતમાં પાકિસ્તાની હાઈ કમિશનમાં તૈનાત પાકિસ્તાની સંરક્ષણ સલાહકારોને દેશ છોડવા માટે એક સપ્તાહનો સમય આપવામાં આવ્યો હતો. તેમજ બંને હાઈ કમિશનમાં તૈનાત કર્મચારીઓની સંખ્યા 50 થી ઘટાડીને 30 કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે 22 એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 પ્રવાસીઓ માર્યા ગયા હતા જ્યારે 17 લોકો ઘાયલ થયા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે