Assembly by-election: વિસાવદર વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીનો જંગ જામી રહ્યો છે. ભાજપના ઉમેદવાર સહિત અનેક નેતાઓ સભાઓ ગજવી રહ્યા છે, ત્યારે ભાજપના ઉમેદવાર કિરીટ પટેલનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે મને મંત્રી બનવાની કોઈ પણ ઈચ્છા નથી, મારે માત્ર 800 દિવસ માટે ધારાસભ્ય બનવું છે. મારે તો જયેશભાઈને મંત્રી બનતાં જોવાની ઈચ્છા છે.
કિરીટ પટેલે પ્રચારના મધ્યમાં જનસભામાં યોજાયેલા સંબોધન દરમિયાન તેમણે કહ્યું કે, "મારે મંત્રી નથી બનવું, મારી તલપ તો એટલી છે કે આ જીતથી મારા ભાઈ જયેશભાઈ રાદડિયાને ફરી મંત્રી બનતા જોવા છે. તેમણે ઉમેર્યું હતું કે "એક ભાઈએ મને ઉત્સાહમાં આ કહ્યું- મિનિસ્ટર, અરે મારે તો ફક્ત 800 દિવસ માટે ધારાસભ્ય બનવું છે. મારે તો એ જીત થકી મારો ભાઈ મંત્રી બની જાય એ જોઈને ગર્વ અનુભવવો છે.
ભાજપના ઉમેદવાર કિરીટ પટેલે વિસાવદર અને ભેસાણની સ્થિતિ પર સ્પષ્ટ વચન આપતાં કહ્યું કે, "તમે ખાલી 800 દિવસ મને આપો, જો પેરિસ જેવી બજારવાળા રસ્તા ન બનાવી દઉં તો હું ધારાસભ્ય તરીકે લાયક નથી." કિરીટ પટેલે આમ આદમી પાર્ટીના નેતાઓ પર પણ પ્રહાર કરતા કહ્યું હતું કે, "વિસાવદર અને ભેસાણની બજારમાં લોકો એ નક્કી કરવું પડશે કે, 400 કરોડના શીશ મહેલમાં રહેનાર મુખ્યમંત્રી શોભે કે 400 દીકરીઓના કન્યાદાન કરનાર જયેશભાઈ રાદડિયા શોભે."
ઉલ્લેખનીય છે કે કિરીટ પટેલ ભેંસાણ ખાતે કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે જાહેર મંચ પર ભાવુક થયા હતા. તેમના પર સહકારી મંડળીઓમાં ગોલમાલ કર્યાના થયેલા આક્ષેપોને તેમણે ભાવુક સ્વરે નકારી કાઢ્યા હતા અને આંખોમાં આંસુ સાથે લોકોને વિશ્વાસ અપાવ્યો હતો. પોતાના સંબોધન દરમિયાન ભાવુક થયેલા ભાજપ ઉમેદવારનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
કિરીટ પટેલે જણાવ્યું, "હું ઝેર પીને મરી જાઉં, પણ ખેડૂતોનો એક રૂપિયો પણ જિંદગીમાં નહીં ખાઉં." આ નિવેદન સાથે તેમણે વિરોધીઓના આક્ષેપોનો જવાબ આપી, પોતાની પ્રામાણિકતા અને ખેડૂતો પ્રત્યેની નિષ્ઠા દર્શાવી. આ ઘટનાએ સ્થાનિક લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે