Home> Gujarat
Advertisement
Prev
Next

ગાંધીનગરના કાવાદાવા : ગૃહ રાજ્યમંત્રીની ગેરહાજરીમાં IPS અધિકારીએ ખેલ પાડ્યો!

Gandhinagar Na Kavadava : ગુજરાતના રાજકારણની ગપશપ, કયા નેતાએ શું કર્યું, કોણ રાજ રમત રમી ગયું... જાણવા માટે જુઓ ‘ગાંધીનગરના કાવાદાવા’
 

ગાંધીનગરના કાવાદાવા : ગૃહ રાજ્યમંત્રીની ગેરહાજરીમાં IPS અધિકારીએ ખેલ પાડ્યો!

Gandhinagar Na Kavadava હિતલ પારેખ/ગાંધીનગર : ગાંધીનગરની રાજકીય ગલિયારીઓમાં બનતી ચટપટી વાતો લોકોના કાન સુધી પહોંચે તે માટે ઝી 24 કલાક તમારા માટે લાવ્યું છે ખાસ કોલમ ‘ગાંધીનગરના કાવાદાવા.’ દર સોમવારે પ્રસ્તુત થનારી આ કોલમમાં તમને એ વાતો જાણવા મળશે જે રાજકારણમાં એક કાનથી બીજા કાનમાં ચૂપચાપ કે ઈશારા ઈશારામાં કહેવાઈ જતી હોય છે. હિતલ પારેખની કલમે વાંચો ગાંધીનગરના કાવાદાવા.

fallbacks

ભ્રષ્ટાચાર સંદર્ભે મુખ્યમંત્રીનો કોના તરફ ઈશારો.. કુદરત માફ નહીં કરે..
સામાન્ય રીતે મુખ્યમંત્રી કક્ષાએથી ભ્રષ્ટાચાર સામે લાલ આંખ કરવામાં આવતી હોય છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા સચિવાલય અને રાજ્ય સરકારના અધિકારીઓમાં ઓપરેશન ગંગાજળ ખૂબ લોકપ્રિય બન્યું છે. અનેક અધિકારીઓને ભ્રષ્ટાચારને કારણે સરકારે ફરજિયાત સેવા નિવૃત્તિ જાહેર કરી છે. આ સંજોગોમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા તાજેતરમાં એક કાર્યક્રમમાં ભ્રષ્ટાચાર સામે જાણે લાચાર હોય એ રીતે ભ્રષ્ટાચારીઓને કુદરત માફ નહીં કરે તે પ્રકારનું સંબોધન કરતા સૌને આશ્ચર્ય થયું. વન અને પર્યાવરણ દિવસની ઉજવણી અંતર્ગત કાર્યક્રમમાં મુખ્યમંત્રી દ્વારા એકાએક ભ્રષ્ટાચારનો મુદ્દો સંબોધનમાં આવરી લીધો. મુખ્યમંત્રીએ લોકોને રૂપિયા ભેગા કરવાની એક મર્યાદા અને નૈતિકતાના ધોરણે રૂપિયા ભેગા કરવાની વાત કરી. જોકે કેટલાક લોકો અનૈતિક રીતે રૂપિયા ભેગા કરતા હોવાનો ઈશારો પણ કર્યો. મુખ્યમંત્રીના શબ્દોમાં જો વાત કરીએ તો ભ્રષ્ટાચારીઓને કોઈ વ્યક્તિ છોડી શકે પણ કુદરત નહીં છોડે તે પ્રકારની વાત કરી. મુખ્યમંત્રીનો આ ઈશારો કોના તરફ છે તેની ચર્ચા એ હવે સચિવાલયમાં જોર પકડ્યું છે. હાલની પરિસ્થિતિ પ્રમાણે પોતાના જ મંત્રીમંડળના સભ્યો ઉપર ભ્રષ્ટાચાર કે અનૈતિક રીતે રૂપિયા કમાવવાનો મુદ્દો જગ જાહેર છે, તે સમયે મુખ્યમંત્રીની આ વાત મંત્રીઓથી માંડીને અધિકારીઓમાં ચર્ચાનો વિષય બની છે. મુખ્યમંત્રી કક્ષાએ પણ ભ્રષ્ટાચારીઓ સામે લાચારી વ્યક્તિ થઈ રહી હોવાની કેટલાક અધિકારીઓ માની રહ્યા છે. પંચાયત મંત્રી બચુ ખાબડના પુત્રોના કરતૂતો પછી પણ તેવો મંત્રીમંડળમાં છે એટલે કેટલાક લોકો મુખ્યમંત્રીની આ વાતને મુખ્યમંત્રીનું દર્દ છલકાયું હોવાનું માની રહ્યાં છે.

ગૃહ રાજ્યમંત્રીની ગેરહાજરીમાં આઈપીએસ અધિકારીએ ખેલ પાડ્યો 
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી લંડનના પ્રવાસે હતા. એક સપ્તાહના આ પ્રવાસ દરમિયાન એક આઇપીએસ અધિકારીએ ખેલ પાડ્યાની ચર્ચા ગૃહ વિભાગ અને સચિવાલયમાં થઈ રહી છે. ગુજરાતના ઇતિહાસમાં ક્યારેય પણ ન બની હોય તેવી ઘટના બની. પોલીસ વિભાગની એક એજન્સી દ્વારા પોલીસ વિભાગની જ બીજી એજન્સીની કચેરીએ રેડ પાડવામાં આવી. આ રેડ બાદ પીએસઆઇ કક્ષાના એક અધિકારીને સસ્પેન્ડ કરાયો. જોકે આ રેડ અરજીઓ દબાઈ રાખવા અને તેમાં ભ્રષ્ટાચારની ગંધ આવતી હોવાની વાત અત્યારે ચર્ચા રહી છે. જોકે સાચી વાસ્તવિકતા આઇપીએસ અધિકારીઓ વચ્ચેની લડાઈ અને અહમનો ટકરાવો કારણભૂત હોવાનું માનવામાં આવે છે. cid crime ચાર્જમાં ચાલે છે. મૂળ કારણ આમાં છુપાયું હોવાની વાત પણ ગૃહ વિભાગમાં ચર્ચા રહી છે. જે દિવસે રેડ પાડવામાં આવી અને પીએસઆઇને સસ્પેન્ડ કરાયો તે દિવસના એક દિવસ અગાઉ cid crime ના ટોચના તમામ અધિકારીઓએ મુખ્યમંત્રી કાર્યાલયની પણ મુલાકાત લીધી હતી. અરજી દબાઈ રાખવી, સમયે અરજી કાઢવી અને તેનો ઉપયોગ કરવો તે cid crime કે પોલીસ માટે નવું નથી. તો પછી પોલીસ વિભાગની જ અન્ય એજન્સી પર રેડ કરવી તે નવો ચીલો પાડવામાં આવ્યો. જે ભવિષ્યમાં પોલીસ તંત્ર માટે જ ઘાતક પુરાવા થઈ શકે. 

અનુસૂચિત જનજાતિના ખોટા પ્રમાણપત્ર આપનાર અધિકારીઓ ઘર ભેગા થશે 
રાજ્ય સરકારની અને ખાસ કરીને સચિવાલય કેડરમાં અનુસૂચિત જનજાતિના ખોટા પ્રમાણપત્રોને આધારે અધિકારીઓ નોકરી કરે છે. રાજ્ય સરકારે જે તે વખતે આ પ્રમાણપત્રોની ખરાઈ કરવાનો મુદ્દો જોર શોરથી ઉપાડ્યો હતો. આદિજાતિ મંત્રી તરીકે ગણપત વસાવા હતા ત્યારે આ મુદ્દો સામે આવ્યો. તપાસ પણ કરવામાં આવી અનેક અધિકારીઓના નામ ખુલ્યા. જોકે ત્યાર પછી આ મુદ્દા ઉપર રાજકીય કારણસર પટારામાં નાંખી દેવાયો. પણ હવે આ મુદ્દો ફરી સપાટી પર આવ્યો છે. સુરતમાં એક ડીવાયએસપી અને કાયદા વિભાગના ઉપસચિવને ખોટા પ્રમાણપત્રને આધારે નોકરી મેળવી હોવાનું કહીને સેવા મુક્ત કર્યા છે. જોકે સચિવાલયમાં અને સરકારમાં આવા 300 થી વધુ અધિકારીઓ હોવાની ચર્ચા છે. આદિજાતિના મંત્રી કુબેર ડીંડોરે પણ આ મુદ્દા ઉપર તપાસ ચાલી રહી હોવાનો સ્વીકાર કર્યો છે અને તેમની સામે પગલા પણ ભરવામાં આવશે તેવી ખાતરી આપી છે. આપને આશ્ચર્ય થશે કે આવા બોગસ પ્રમાણપત્રને આધારે નોકરી મેળવનાર કેટલાય અધિકારીઓ વહી મર્યાદાથી નિવૃત્ત પણ થઈ ચૂક્યા છે. જે નોકરી કરે છે તેઓની નોકરી પણ 15 થી 25 વર્ષ સુધીની થઈ ચૂકી છે. એક  અધિકારીએ ત્યાં સુધી કહ્યું કે જો ગ્રામ પંચાયત અને મહાનગરોની ચૂંટણીમાં વોટબેંકનો સવાલ આવશે તો આ મુદ્દો ફરી પાછો બક્સામાં જતો રહેશે.

fallbacks

વિધાનસભાની પેટા ચૂંટણી માટે ભાજપે નહીં, સરકારે ગાંધીનગરથી ખેલ પડ્યો 
વિધાનસભાની વિસાવદર અને કડી બે બેઠકોની પેટા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા રસપદ બની. વિસાવદર બેઠક ઉપર ભાજપમાં આપ પાર્ટીમાંથી આવેલા ભૂપત ભાયાણીને ટિકિટ આપવાનું કમિટમેન્ટ હતું. જોકે વિસાવદરમાં આઈબી કે ખાનગી રિપોર્ટમાં ભુપત ભાયાણી ચૂંટણી લડશે તો તેની ડિપોઝિટ પણ જપ્ત થશે તેવું કારણ આગળ ધરીને ભૂપત ભાયાણીનો ખેલ પાડી દેવાયો. અને તેમના સ્થાને કિરીટ પટેલને ભાજપે ઉમેદવાર બનાવ્યા. આજ રીતે અનુસૂચિત જાતિની બેઠક કડીમાં સૌથી વધુ દાવેદારો ભાજપમાં નોંધાયા. પૂર્વ ધારાસભ્યો પૂર્વ કેબિનેટ મંત્રી, સહિત કડી બહારના ઉમેદવારોએ ટિકિટની માંગણી કરી. અહીં સરકારના બે સિનિયર મંત્રીએ સિફત પૂર્વક ખેલ પાડ્યો. કડીના સ્થાનિક ટિકિટ વાંછુક ઉમેદવારની યાદી અને બહારના ટિકિટ માંગણી કરનારની યાદી અલગ કરી. જેના કારણે ભાજપના મોવડી મંડળે માત્ર સ્થાનિક ઉમેદવારની યાદીને આધારે જ ટિકિટ આપવાનો નિર્ણય કર્યો. આ મંત્રીઓની રાજકીય સૂઝબૂઝને કારણે બહારના કોઈપણ ઉમેદવારોની નામની ચર્ચા જ ન થઈ.

એક અધિકારીની મનમાની સામે બે મંત્રીઓ લાચાર 
રાજ્યના શિક્ષણ વિભાગમાં શિક્ષકોની ભરતી ક્યારે આ ખૂબ ચર્ચા તો વિષય છે. સરકાર ભરતી કરી શકી નથી તે પણ એક વાસ્તવિકતા છે. જોકે આ વાસ્તવિકતામાં શિક્ષણ મંત્રી કુબેર ડીંડોર અને રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરીયા ઝડપથી ભરતી પ્રક્રિયા પૂરી થાય તે માટે પ્રયત્નશીલ છે. જોકે આ ભરતીએ પ્રક્રિયા વિલનની ભૂમિકા કમિશનર ઓફ સ્કુલ પ્રજેશ રાણા ભજવી રહ્યા છે. તેમની જવાબદારી ધોરણ 9 થી 12 માં શિક્ષકોની ભરતી પ્રક્રિયા પૂરી કરવાની છે. જોકે લાંબા સમયથી આ ભરતી પ્રક્રિયા તેઓ પૂરી કરતા નથી. કંઈ ને કંઈ બહાનું આગળ કરીને ભરતી પ્રક્રિયા અટકાવે છે. બંને શિક્ષણ મંત્રીઓએ અનેકો વખત અધિકારીને બોલાવીને સૂચનાઓ આપી છે પણ સૂચનાઓનો અમલ આ અધિકારી કરતા નથી. આ અધિકારી 9 થી 12 ની ભરતી પ્રક્રિયા નથી હાથ ધરતા તેના કારણે 6 થી 8 અને 1 થી 5 ના શિક્ષકોની ભરતી પ્રક્રિયા અટકી પડી છે. સરકારે ક્રમશ ભરતી પ્રક્રિયા કરવાનો નિર્ણય લીધો હતો. જેનાથી વિદ્યાર્થીઓને અન્યાય પણ ન થાય અને વધુ વિદ્યાર્થીઓનો શિક્ષકો તરીકે સમાવેશ કરી શકાય. જેમાં સૌપ્રથમ ધોરણ 9 થી 12ની શિક્ષકોની ભરતી કરવાની હતી અને તે પછી ક્રમશઃ 6 થી 8 અને પછી 1 થી 5 ની ભરતી શિક્ષકોની કરી શકાય. જોકે કમિશનર ઓફ સ્કુલ પોતાના નિવૃત્તિના નજીકના સમયગાળાને કારણે કોઈ જોખમ લેવા તૈયાર નથી. ભલે પછી વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમાય પણ પોતાની નિવૃત્તિ ન જોખવાવી જોઈએ તેવી નીતિ અપનાવી છે.

ગાંધીનગર રેન્જ આઈજી સિનિયરોને બાજુ પર રાખી મેદાન મારી ગયા 
રાજ્ય સરકાર માટે પોલીસ તંત્રમાં સૌથી મહત્વનું ખાતું ગુપ્તચર ખાતું કહેવાય છે. આઈબીના વડા એમ.એસ.ભરાડા વયમર્યાદાને કારણે નિવૃત્ત થયા. હવે તેમનો ચાર્જ સીધો જ ગાંધીનગરના રેન્જ આઈ.જી વિરેન્દ્ર યાદવને સોંપાયો છે. વિરેન્દ્ર યાદવ 2009ની બેચના છે. પોલીસ ભવનમાં જ તેમનાથી અનેક સિનિયર અધિકારીઓ હાજર છે. જોકે ગૃહ વિભાગ દ્વારા અન્ય કોઈ અધિકારીને ચાર્જ સોંપવાની જગ્યાએ વિરેન્દ્ર યાદવને ચાર્જ સોંપ્યો છે. વિરેન્દ્ર યાદવ હોશિયાર અને બાહોશ અધિકારીઓમાં છે. ગાંધીનગર એસપી અને હવે રેન્જ ગાંધીનગર હોવાથી ગાંધીનગરની રાજકીય અને સામાજિક જરૂરિયાતો ખૂબ સારી રીતે જાણે છે. આમ પણ સિનિયર આઇપીએસ અધિકારીઓ વચ્ચેના અહમના ટકરાવ કે ઓફિસ પોલિટિક્સ થી ib ની જગ્યા દૂર રાખવા માટે આ નિર્ણય લેવાયો હોઈ શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More