Bhavnagar Rains : ભાવનગરમાં ભારે વરસાદ બાદ ભયાવહ દ્રશ્યો સર્જાયા છે. પૂર જેવા પાણીમાં લોકોને જીવ બચાવવાની જરૂર પડી છે. આ માટે અનેક રેસ્ક્યૂ ઓપરેશન ઓપરેશન હાથ ધરાયા છે. સિહોરના મગલાણા ગામના સોલાર પ્લાન્ટમાં કામ કરતા 5 લોકો પાણીના પ્રવાહમાં ફસાયા હતા, જેમને બચાવવા ગયેલા તરવૈયા પણ ફસાયા હતા.
પીઆઇ બી.ડી.જાડેજા તરવૈયાઓને બચાવવા દોરડું બાંધી પાણીમાં કૂદી પડ્યા
પ્રાપ્ત માહિતી અનુસાર, સિહોરના મગલાણા ગામના સોલાર પ્લાન્ટમાં કામ કરતા 5 લોકો પાણીના પ્રવાહમાં ફસાયા હતા. મગલાણી નદીમાં ભારે પુર આવતા ફસાયેલા 5 લોકોને બચાવવા સ્થાનિક તરવૈયાઓ પાણીમાં ઉતર્યા હતા. પરંતુ પાણીનો પ્રવાહ વધી જતાં બચાવ કામગીરી માટે ગયેલા 3 તરવૈયાઓ જ ફસાઇ ગયા હતા. ઘટનાને પગલે સિહોર પોલીસ મથકના પીઆઇ બી.ડી.જાડેજા તરવૈયાઓને બચાવવા દોરડું બાંધી પાણીમાં કૂદી પડ્યા હતા. પાણીની ઊંડાઇ 6 ફૂટ કરતા વધારે હોવા છતાં પીઆઈ બી.ડી.જાડેજા એ પોતાની પરવાહ કર્યા વગર પાણીમાં ઉતરી ગયા હતા. સ્થાનિક લોકોની મદદથી હાલ ત્રણે તરવૈયાઓની રેસ્ક્યુ કામગીરી કરવામાં આવી હતી. જોકે હજુપણ 5 જેટલા લોકો પાણીમાં ફસાયા છે, જોકે તમામ સુરક્ષિત હોવાની જાણકારી ઉપલબ્ધ થઈ છે. ફસાયેલા લોકોને બચાવવા હાલ વહીવટી તંત્ર દ્વારા બોટ મંગાવવા કામગીરી હાથ ધરી છે.
રાજ્યમાં ચોમાસાના આગમન સાથે જ સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગરના અહેવાલ મુજબ છેલ્લાં ૨૪ કલાક દરમિયાન બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં સૌથી વધુ ૧૪ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જ્યારે, ભાવનગર જિલ્લાના પાલીતાણા અને શિહોર ૧૨-૧૨ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. રાજ્યમાં ભાવનગર જિલ્લામાં સૌથી વધુ સરેરાશ ૮ ઇંચ તેમજ બોટાદ જિલ્લામાં એક જ દિવસમાં સરેરાશ ૭.૫ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.
ગાંધીનગરમાં મહત્વની બેઠક
રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિ વચ્ચે ગાંધીનગરમાં મહત્વની બેઠક યોજાશે. સાંજે ચાર વાગે વેધર વોચ કમિટીની બેઠક યોજાશે. રાહત કમિશનર ઓપરેશન સેન્ટર ખાતે ચર્ચા કરાશે. જેમાં હવામાન વિભાગ, મેહસુલ, માર્ગ અને મકાન, એનડીઆરએફ, એસડીઆરએફ તથા કોસ્ટ ગાર્ડ સહીતની એજન્સીઓના અધિકારીઓ ઉપસ્થિત રહેશે. જેઓ રાજ્યમાં વરસાદની સ્થિતિ, રાહત બચાવ સહિતની બાબતો પર સમીક્ષા કરશે.
તાલુકાની વાત કરીએ તો, ગત ૨૪ કલાકમાં ભાવનગરના જેશર અને ઉમરાળા, અમરેલીના સાવરકુંડલા તેમજ બોટાદ તાલુકામાં ૧૦ ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. ભાવનગરના મહુવા તાલુકામાં પણ ૯ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત અમરેલીના રાજુલા, અમરેલી અને લીલીયા, ભાવનગરના વલ્લભીપુર અને તળાજા તેમજ સુરેન્દ્રનગરના ચોટીલા તાલુકામાં પણ ૬ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.
વધુમાં, ભાવનગરના ગારીયાધાર, રાજકોટના વિંછીયા, ભરૂચના હાંસોટ, અમરેલીના બાબરા અને ખાંભા તેમજ મોરબી તાલુકામાં ૪ ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. જ્યારે, મોરબીના ટંકારા અને હળવદ, રાજકોટના જસદણ અને જેતપુર, સુરેન્દ્રનગરના ચુડા, સાયલા, થાનગઢ અને મુળી, ભરૂચના વાગરા અને અંકલેશ્વર, સુરતના ઓલપાડ, અમરેલીના લાઠી, કચ્છના માંડવી, ભાવનગર ઉપરાંત જૂનાગઢ શહેર અને તાલુકામાં પણ ૩ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.
આ ઉપરાંત રાજ્યના ૨૫ તાલુકામાં બે ઇંચથી વધુ, ૬૬ તાલુકામાં એક ઈંચથી વધુ જ્યારે, ૯૩ તાલુકામાં એક ઇંચ કરતા ઓછો વરસાદ નોંધાયો છે. આમ, છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજ્યમાં ૩૩ જિલ્લાના કુલ ૨૨૧ તાલુકામાં સરેરાશ ૧.૫ ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આજે તા. ૧૭ જૂન, ૨૦૨૫ના રોજ સવારે ૬.૦૦ કલાક સુધીમાં રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૮ ટકા જેટલો નોંધાયો છે. જ્યારે, સવારે ૬.૦૦ કલાકથી ૧૦.૦૦ કલાક સુધીમાં ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકામાં રાજ્યનો સૌથી વધુ ૩.૫ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત બોટાદના બરવાળામાં ૩ ઇંચ તેમજ ભાવનગરના વલ્લભીપુર, અમદાવાદના ધોલેરા અને ધંધુકા તાલુકામાં પણ ચાર કલાકમાં જ બે ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે