જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં આતંકીઓએ જે કાયરતાપૂર્ણ હરકત કરી છે ત્યારબાદ સમગ્ર દેશમાં અને આ વખતે તો જમ્મુ કાશ્મીરના સ્થાનિકોમાં પણ જબરદસ્ત રોષ જોવા મળી રહ્યો છે. વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. આ હુમલામાં 26થી વધુ લોકોના જીવ ગયા. બીજી બાજુ કેન્દ્રની મોદી સરકારે પણ પહલગામ આતંકી હુમલા બાદ પાકિસ્તાન વિરુદ્ધ આકરી કાર્યવાહીની તૈયારીઓ કરવા માંડી છે. જેના ભાગ સ્વરૂપે ગઈ કાલે રાતે મોટા નિર્ણયો લેવાયા અને પાકિસ્તાન માટે જીવદારી સમાન સિંધુ જળ સમજૂતિ સ્થગિત કરી. હવે કેન્દ્ર સરકારે આજે સાંજે 6 વાગે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. આ બેઠકની અધ્યક્ષતા રક્ષામંત્રી રાજનાથ સિંહ કરશે. આ બેઠકમાં કોંગ્રેસ સહિત તમામ વિપક્ષી દળોને આમંત્રણ અપાયું છે. બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને વિદેશ મંત્રી એસ જયશંકર પણ સામેલ થશે.
આતંકી હુમલા બાદ બુધવારે પીએમ મોદીના ઘરે CCS ની બેઠક થઈ. આ બેઠકમાં આકરા નિર્ણયો લેવાયા. ભારતે પાકિસ્તાન સાથે ચાલી રહેલી સિંધુ જળ સમજૂતિને સ્થગિત કરી છે. આ સાથે જ પાકિસ્તાનના નાગરિકોને અપાતા વિઝા પણ રદ કરાયા છે. સીસીએસની બેઠક બાદ રાતે વિદેશ સચિવે પત્રકારોને આ નિર્ણયો અંગે જણાવ્યું. તેમણે જણાવ્યું કે એક મે સુધીમાં રાજનયિક સંબધોમાં વધુ કાપના માધ્યમથી પાકિસ્તાન અને ભારતીય દૂતાવાસોમાં તૈનાત લોકોની કુલ સંખ્યા ઘટાડીને 55થી 30 કરવામાં આવશે.
તેમણે જણાવ્યું કે પાકિસ્તાની નાગરિકોને એસવીઈએસ હેઠળ ભારત આવવાની મંજૂરી નહીં મળે અને એસવીઈએસ વિઝા હેઠળ ભારતમાં હાજર કોઈ પણ પાકિસ્તાની નાગરિક પાસે ભારત છોડવા માટે 48 કલાકનો સમય છે. વિદેશ સચિવે પાંચ જવાબી કાર્યવાહીની જાહેરાત કરતા કહ્યું કે પાકિસ્તાની દૂતાવાસમાં રક્ષા, સૈન્ય, નેવી, અને વાયુ સલાહકારોને પર્સોના નોન ગ્રેટા જાહેર કરાયા છે. તથા તેમને એક અઠવાડિયાની અંદર ભારત છોડવા માટે કહેવાયું છે.
ભારતે પાકિસ્તાનને જણાવી દીધા નિર્ણયો
પહલગામ આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાનને આ હુમલા માટે જવાબદાર ઠેરવીને કડક નિર્ણયો લેવા માંડ્યા છે. આ બધા વચ્ચે ભારતે કાલે મોડી રાતે નવી દિલ્હી સ્થિત પાકિસ્તાનના ટોચના રાજનયિક સાદ અહેમદ વરાઈઝને તલબ કર્યા અને તેમને તમામ પાકિસ્તાની સૈન્ય રાજનયિકો માટે એક ઔપચારિક પર્સોના નોન ગ્રેટા નોટ સોંપી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે